ચંદીગઢઃ પંજાબ સરકારે બાસમતી ચોખાની નિકાસ બચાવવા માટે 60 દિવસ માટે 10 જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલ એક નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 'આ જંતુનાશકોનું વેચાણ, સ્ટોક, વિતરણ અને ઉપયોગ બાસમતી ચોખાના ઉત્પાદકોના હિતમાં નથી. અધિકારીઓ દ્વારા મહત્તમ અવશેષ સ્તર(MRL)ની તુલનામાં વધુ જંતુનાશક અવશિષ્ટનુ જોખમ છે.'
રાજ્યના બાસમતી ચોખાના પાકને જીવાતો અને ચેપથી બચાવવા માટે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી(PAU) એ ઉપયોગમાં લેવાના વિકલ્પોની સૂચિની ભલામણ કરી છે. વળી, વ્યવસાયિક સૂત્રોએ કૃષિ વિશ્વને જણાવ્યુ હતુ કે, 'આ પ્રતિબંધિત જંતુનાશકો ખેડૂતો માટે જરૂરી છે અને સૂચવેલા વિકલ્પો અસરકારક નથી. આ જંતુનાશકોનો ઉપયોગ માત્ર ડાંગરમાં જ થતો નથી પરંતુ અન્ય પાક, ફળો અને શાકભાજીમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. પાક ઉત્પાદન બચાવવા માટે આ તમામ જરૂરી જંતુનાશકો છે.'
તેનાથી વિપરીત પંજાબ રાઇસ મિલર્સ અને નિકાસકાર એસોસિએશને પંજાબ સરકારને પ્રતિબંધ લાદવાની વિનંતી કરી કારણ કે તેમના દ્વારા પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં MRL સ્તરથી ઉપર જંતુનાશકો હોવાનુ જણાયુ હતુ. પ્રતિબંધના વિરોધમાં આગળ આવેલા સંગઠન ક્રોપ કેર ફેડરેશન ઓફ ઈન્ડિયા (સીસીએફઆઈ)એ કૃષિ જગતને કહ્યુ, 'આ આદેશ ખેડૂત સમુદાયના હિતોની વિરુદ્ધ છે અને કૃષિ ઉત્પાદનને અસર થશે. આ આદેશ સ્પષ્ટપણે મનસ્વી છે. જંતુનાશક અધિનિયમની કલમ 26 સહિત કલમ 27ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.'
CCFI એ પંજાબના કૃષિ સચિવ શ્રી દિલરાજ સિંહ અને કેન્દ્રીય કૃષિ સચિવ શ્રી મનોજ આહુજા અને સંયુક્ત સચિવ પ્લાન્ટ પ્રોટેક્શન ડૉ. પ્રમોદ કુમાર મેહરદાને પત્ર મોકલ્યો છે કે કેવી રીતે આ પ્રતિબંધ પાક સંરક્ષણની વર્તમાન ટકાઉ પ્રથાને બાધિત કરશે.