મધ્યપ્રદેશના જબલપુરના ચાંડાલ ભાટા વિસ્તારમાં આવેલી ન્યુ લાઈફ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સોમવારની બપોરે આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઘણા દર્દીઓ દાઝી ગયા હતા. ઓફિસ સ્ટાફ સહિત દસ લોકોના મોત થયા હતા. કેટલાક લોકો ગંભીર હોવાનું કહેવાય છે. કેટલાક ગંભીર દાઝી ગયેલા દર્દીઓને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી તેના પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. તાત્કાલિક વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓએ પણ આગેવાની લીધી હતી. જબલપુરના એસપી સિદ્ધાર્થ બહુગુણાએ 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આવા સમયે, કલેક્ટર ઇલૈયા રાજાએ આશંકા વ્યક્ત કરી હતી કે, મૃત્યુઆંક વધી શકે છે. તેમણે તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મધ્યપ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
વોલ્ટેજમાં વધઘટના કારણે જનરેટરમાંથી આગ ફાટી નીકળી
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જે લોકો દાઝી ગયા છે તેમને શહેરની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં હોસ્પિટલ સ્ટાફ અને દર્દીઓ પણ શામેલ છે. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, વોલ્ટેજમાં વધઘટ હતી. જેના કારણે જનરેટરમાં આગ લાગી હતી અને તેણે આખી ઇમારતને ઝપેટામાં લીધી હતી.
મુખ્યમંત્રી શિવરાજે કરી વળતરની જાહેરાત
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, જબલપુરની એક હોસ્પિટલમાં ભયાનક આગની દુર્ઘટના અંગે દુઃખદ સમાચાર મળ્યા છે. હું સ્થાનિક વહીવટી તંત્ર અને કલેક્ટર સાથે સતત સંપર્કમાં છું. મુખ્ય સચિવને સમગ્ર મામલામાં નજર રાખવા સૂચના આપવામાં આવી છે. રાહત અને બચાવ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જબલપુરની ન્યુ લાઈફ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં અમૂલ્ય જીવોના અકાળે મૃત્યુના સમાચારથી હૃદય દુઃખી છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, તેઓ મૃત આત્માઓને શાંતિ આપે અને પરિવારોને આ ઊંડી ખોટ સહન કરવાની શક્તિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. આ દુખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારે પોતાને એકલા ન માનવા જોઈએ, હું અને સમગ્ર મધ્યપ્રદેશ પરિવારની સાથે છીએ. રાજ્ય સરકાર મૃતકોના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા દરેકને 50,000 રૂપિયાની સહાય આપશે. ઘાયલોની સંપૂર્ણ સારવારનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે.
#WATCH | Madhya Pradesh: Fire breaks out at Jabalpur Hospital. Further details awaited pic.twitter.com/RdjjqARKIY
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 1, 2022
કમલનાથે પણ શોક વ્યક્ત કર્યો
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલનાથે જણાવ્યું હતું કે, જબલપુરની એક ખાનગી હોસ્પિટલમાં આગને કારણે અનેક લોકોના મોત અને જાનહાનિના સમાચાર મળ્યા છે. આ ખૂબ જ દર્દનાક ઘટના છે. હું મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. હું આગમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.