નવી દિલ્લીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નેશનલ હેરાલ્ડ કેસની ફરીથી તપાસ કરી રહી છે. આ મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ જે અંતર્ગત તેઓ આજે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે દિલ્હીમાં ઈડીની ઑફિસ જશે. આ મામલામાં આ પહેલા રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તે સમયે સોનિયા ગાંધી ખરાબ તબિયતના કારણે જઈ શક્યા ન હતા. બીજી તરફ કોંગ્રેસે ફરી એકવાર સમગ્ર દેશમાં શક્તિ પ્રદર્શનની જાહેરાત કરી છે. જે અંતર્ગત આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ દિલ્લી, રાજસ્થાન, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરશે.
જ્યારે ઈડીએ રાહુલ ગાંધીની પૂછપરછ કરી ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ દિલ્લીમાં હોબાળો મચાવ્યો. તે દરમિયાન ઘણા વરિષ્ઠ નેતાઓને કસ્ટડીમાં લેવા પડ્યા હતા. આશંકા છે કે આ પ્રદર્શન અગાઉના પ્રદર્શન કરતા મોટુ હશે. દિલ્લી પોલિસે આ માટે તૈયારી કરી લીધી છે. જે અંતર્ગત કોંગ્રેસ કાર્યાલયની આસપાસના રસ્તાઓ સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓ ત્યાં હંગામો ન કરે તે માટે ઈડી ઑફિસની નજીક પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી છે.
દેશભરમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની દિલ્લી પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગયા વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસ શાસિત છત્તીસગઢ અને રાજસ્થાનના સીએમ આ પ્રદર્શનમાં જોડાઈ શકે છે. એવા સમાચાર છે કે ગુરુવારે સવારે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ એકતા દર્શાવવા માટે AICC કાર્યાલયમાં એકઠા થશે. આ પછી સાંસદ કોંગ્રેસ પ્રમુખ સાથે ઈડી ઑફિસ જશે.
તમને જણાવી દઈએ કે ગયા મહિને રાહુલ ગાંધીની પાંચ દિવસમાં લગભગ 50 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન તેમનુ નિવેદન પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રીંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યુ હતુ. જો કે રાહુલે ઈડીને સંપૂર્ણ સહકાર આપ્યો હતો પરંતુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેશભરમાં ઉગ્ર પ્રદર્શન કર્યુ હતુ.