મોહાલીઃ પંજાબની નવી સરકાર ખાનગી અને સરકારી સંસ્થાઓ દ્વારા મનસ્વીતાની ફરિયાદો પર કડક બની છે. માટે અહીં ખાનગી અને સરકારી સંસ્થાઓમાં પંજાબી ભાષાને પહેલ આપવામાં જે બેદરકારી અને મનમાની કરવામાં આવી રહી છે તે હવે ચાલશે નહિ. આ સંદર્ભમાં ઉચ્ચ શિક્ષણ અને ભાષા બાબતોના સચિવ કૃષ્ણ કુમારે કડક આદેશો સાથે પત્ર જાહેર કર્યો છે.
કૃષ્ણ કુમારે ઉપરોક્ત પત્રમાં કહ્યુ છે કે રાજ્યમાં સરકારી કામકાજ પંજાબીમાં થવુ જોઈએ. આ સાથે અધિકારીઓની નેમ પ્લેટ, ઑફિસોના નેમ બોર્ડ પર પંજાબી ભાષા અને ગુરુમુખી લિપિને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે કહ્યુ કે આ આદેશ બિન-સરકારી સંસ્થાઓને પણ લાગુ પડશે. 4 જુલાઈના રોજ જાહેર કરાયેલા આ પત્રમાં સ્પષ્ટ લખ્યુ છે કે અધિકૃત ભાષા અધિનિયમ, 1967ની કલમ 4 અને રાજભાષા લિવ્યંતરણ અધિનિયમ, 2008 હેઠળ પંજાબ રાજ્યના વહીવટમાં પંજાબી ભાષા અને ગુરુમુખીના ઉપયોગ અંગે સૂચના જાહેર કરવામાં આવી હતી.
પત્રમાં કહેવામાં આવ્યુ છે કે સરકારના ધ્યાનમાં આવ્યુ છે કે આ સૂચનાઓનુ પાલન કરવામાં આવી રહ્યુ નથી. તેથી રાજ્યભરમાં ભાષાને આદર અને મહત્વ આપવાની સાથે તેને અસરકારક બનાવવા સરકારી વિભાગો, કચેરીઓ તેમજ એનજીઓ અને કાર્યાલયોમાં પંજાબી ભાષાને પ્રથમ દરજ્જો આપવા આદેશો આપવામાં આવી રહ્યા છે.
પત્રમાં કહેવામાં આવ્યુ છે કે ફેક્ટરી એક્ટ, સોસાયટી એક્ટ અને શૉપ્સ એન્ડ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1958 હેઠળ નોંધાયેલી બિઝનેસ એન્ટિટીના નામ પહેલા પંજાબીમાં ગુરુમુખી લિપિમાં લખવા જોઈએ. આ સાથે રસ્તાના નામના બોર્ડ, માઈલસ્ટોન, સાઈન બોર્ડ અને ફ્લેક્સ બોર્ડ લખતી વખતે પંજાબી ભાષાને મોખરે રાખવી. જો બીજી કોઈ ભાષા લખવી હોય તો તે નીચેની લીટીમાં લખવી જોઈએ.