પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉજ્જવલા યોજના-2 નું લોકાર્પણ કરશે. PM મોદી આર્થિક રીતે નબળા વર્ગો માટે LPG ની આ સુવિધા મહોબાથી આજે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શરૂ કરશે. આ દરમિયાન આ યોજનાના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. ઉજ્જવલા યોજના અને વિશ્વ જૈવ ઇંધણ દિવસ પર શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમૃતસર, દેહરાદૂન, ઈમ્ફાલ, ઉત્તર ગોવા અને ગોરખપુરના એક-એક મહિલા લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. તે પછી તે કાર્યક્રમને સંબોધિત કરશે.
તમને જણાવી દઈએ કે ઉજ્જવલા યોજના વર્ષ 2016 માં શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન, ગરીબી રેખા નીચેના બીપીએલ પરિવારોની પાંચ કરોડ મહિલા સભ્યોને એલપીજી કનેક્શન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, એપ્રિલ 2018 માં મહિલા લાભાર્થીઓની વધુ સાત શ્રેણીઓને આવરી લેવા માટે આ યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો. આ યોજનામાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ, PMAY, AAY, પછાત વર્ગ, ચાના બગીચાના મજુરો, વનવાસીઓ અને ટાપુઓ પર રહેતા પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લક્ષ્ણ પર વધારીને 8 કરોડ કરવામાં આવ્યો હતો. આ લક્ષ્ય તેના શેડ્યૂલ પહેલા ઓગસ્ટ 2019 માં પુરો થયો હતો.
નાણાકીય વર્ષ 21-22ના કેન્દ્રીય બજેટમાં PMUY હેઠળ એક કરોડ વધારાના LPG કનેક્શન આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ એક કરોડ વધારાના PMUY કનેક્શનનો ઉદ્દેશ ઓછી આવક ધરાવતા પરિવારોને ડિપોઝીટ મુક્ત LPG કનેક્શન આપવાનો છે, જેને PMUY ના પ્રથમ તબક્કામા આવરી શકાયા નથી.
ઉજ્જવલા 2.0 ના લાભાર્થીઓને ડિપોઝિટ ફ્રી એલપીજી કનેક્શન સાથે પ્રથમ રિફિલ અને હોટપ્લેટ મફત આપવામાં આવશે. તેમજ ન્યૂનતમ કાગળની જરૂર પડશે. ઉજ્જવલા 2.0 માં રેશનકાર્ડ અથવા એડ્રેસ પ્રૂફ સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. ઉજ્જવલા યોજના ઓનલાઇન રજીસ્ટ્રેશન 2021 માટે અરજદારો તેમની પસંદગીના કોઈપણ વિતરકને અરજી કરી શકે છે. આ વખતે વિકલ્પો આપવામાં આવ્યા છે. તમે તમારી પસંદગીના વિતરક પસંદ કરી શકો છો, જેમ કે ઇન્ડેન, ભારતગેસ અથવા એચપી ગેસ.