નવી દિલ્લીઃ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ઈડી દ્વારા ગાળિયો કસાઈ રહ્યો છે. અનિલ દેશમુખના ઘરે દરોડાની કાર્યવાહી બાદ ઈડીની ટીમે મોડી રાતે તેમના પર્સનલ આસિસટન્ટ કુંદર શિંદે અને પર્સનલ સેક્રેટરી સંજીવ પલાંડેને મની લૉન્ડ્રિંગ એક્ટ હેઠળ ધરપકડી કરી છે. આ પહેલા ઈડીની ટીમે દરોડા હેઠળ આખો દિવસ અનિલ દેશમુખના નાગપુર સ્થિત ઘરની તપાસ કરી. ઈડીના અધિકારીઓએ જણાવ્યુ કે મુંબઈમાં સીબીઆઈ ઑફિસમાં લગભગ 9 કલાક પૂછપરછ બાદ પણ અનિલ દેશમુખના બંને સહયોગી તપાસ અધિકારીઓ સાથે સહયોગ નહોતા કરી રહ્યા ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી.
ઈડીના અધિકારીઓએ જણાવ્યુ કે કુંદન શિંદે અને સંજીવ પલાંડેની ધરપકડ બાદ બંનેને શનિવારે મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટમાં હાજર કરવામાં આવશે જ્યાં ઈડી પૂછપરછ માટે તેમની કસ્ટડીની માંગ કરશે. ઉલ્લેખનીય છે કે શનિવારે સવારે લગભગ સાડા સાત વાગે ઈડીના આઠ અધિકારીઓની એક ટીમ સીઆરપીએફના જવાનો સાથે અનિલ દેશમુખના નાગપુર સ્થિત ઘરે પહોંચી અને દરોડા શરૂ કર્યા. આ દરમિયાન કોઈને પણ ઘરમાં આવવાની મંજૂરી આપવામાં આવી નહિ અને મોડી રાત સુધી રેડ ચાલુ રહી.
પરમબીર સિંહના આરોપો બાદ ઘેરામાં છે અનિલ દેશમુખ
ઈડીએ અનિલ દેશમુખ સામે આ કાર્યવાહી મની લૉન્ડ્રિંગ કેસ હેઠળ કરી છે. તમને જણાવી દઈએ કે મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહે આરોપ લગાવ્યો કે અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પર રહીને અમુક પોલિસકર્મીઓને ક્લબ અને બાર માલિકો પાસેથી 100 કરોડ રૂપિયા એકઠા કરવાના આદેશ આપ્યા. પરમબીર સિંહના આ આરોપોથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો અને અનિલ દેશમુખને ગૃહમંત્રીના પદ પરથી રાજીનામુ આપવુ પડ્યુ. જો કે અનિલ દેશમુખનુ કહેવુ છે કે તેમના ઉપર લગાવેલા આરોપ ખોટા છે અને તેમને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે.