નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસ મહામારીમાં જીવ ગુમાવનારની સંખ્યા સાડા ત્રણ લાખ થવા જઈ રહી છે એવા સમયમાં પણ પત્રકારો દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં કોવિડ-19ના કારણે ઘણા પત્રકારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વર્ષ 2020 અને 2021 દરમિયાન કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર પત્રકારોની માહિતી એકઠી કરીને માહિતી અને પ્રસારણ મંત્રાલય અને પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ પત્રકાર કલ્યાણ યોજના અંતર્ગત આવા પત્રકારોના પરિવારોને આર્થિક મદદ આપવા માટે નિર્ણય કર્યો.
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેની અધ્યક્ષતામાં પત્રકાર કલ્યાણ યોજના સમિતિ દ્વારા કરવામાં આવેલ પ્રસ્તાવને મંજૂરી આપી. જેમાં કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા 67 પત્રકારોના પરિવારો માટે આર્થિક સહાય મંજૂર કરવામાં આવી. આ પ્રસ્તાવમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારા 26 પત્રકારોના પ્રત્યેક પરિવારોને 5 લાખ રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ પહેલા કોરોનાના કારણે મૃત્યુ પામનારા 41 પત્રકારોના પરિવારોને સહાય આપી હતી.
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો દ્વારા કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા સંખ્યાબંધ પરિવારો સુધી પહોંચવા માટે સક્રિય કામગીરી કરી આ યોજના તેમજ દાવો દાખલ કરવા અંગે સંપૂર્ણ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યુ. સમિતિએ JWS હેઠળ આર્થિક સહાયતાની અરજીઓની પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે તે માટે સાપ્તાહિક ધોરણે બેઠક યોજવાનો નિર્ણય કર્યો. વળી, કોવિડ-19 સિવાયના કારણોસર જીવ ગુમાવનારા 11 પત્રકારોના પરિવારોની અરજીઓ પણ ધ્યાનમાં લીધી હતી. આ બેઠકમાં PIBના અગ્ર મહાનિર્દેશક જયદીપ ભટનાગર, સંયુક્ત સચિવ (I&B) વિક્રમ સહાય, સમિતિના પત્રકારોના પ્રતિનિધિઓ સંતોષ ઠાકુર, અમિત કુમાર, ઉમેશ કુમાર, સર્જના શર્મા સહિત અન્ય સભ્યોએ ભાગ લીધો હતો. પત્રકારો અને તેમના પરિવારો PIBની વેબસાઈટ દ્વારા પત્રકાર કલ્યાણ યોજના(JWS)હેઠળ મદદ માટે અરજી કરી શકે છે જે આ લિંક પર ઉપલબ્ધ છેઃ https://accreditation.pib.gov.in/jws/default.aspx.