નવી દિલ્લીઃ નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂતોના આંદોલનને આજે 6 મહિના પૂરા થઈ ગયા છે પરંતુ સરકાર તરફથી ખેડૂતોની માંગ માનવામાં આવી નથી અને આના કારણે ખેડૂતોએ આજે દેશભરમાં કાળો દિવસ મનાવવાનુ આહ્વાન કર્યુ છે. ખેડૂતોએ લોકોને સમર્થનની અપીલ કરીને કહ્યુ છે કે આજે બધા પોતાના ઘર અને વાહન પર કાળો ઝંડો લગાવે. આ વિશે એક દિવસ પહેલા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકેતે કહ્યુ હતુ કે સરકાર અમારી સાંભળી નથી રહી એટલા માટે અમે બધા 'બ્લેક ડે' મનાવીશુ. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે આજના દિવસે ક્યાંય પણ જનસભા નહિ થાય. બહારથી કોઈ દિલ્લી નથી જઈ રહ્યુ. લોકો જ્યાં પણ હશે, એ બધા પોતાના વાહનો પર કાળા ઝંડા લગાવશે. ગામમાં બધા ખેડૂતો સરકારના પૂતળાનુ દહન કરે, સમગ્ર ખેડૂતો શાંતિપૂર્ણ ધરણા-પ્રદર્શન કરશે.
દિલ્લી પોલિસે ખેડૂતોને કરી આ અપીલ
હાલમાં ખેડૂતોના આ પ્રદર્શનને જોતા પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ પર છે. આ વિશે દિલ્લી પોલિસના પ્રવકતા ચિન્મય બિસ્વાલે પણ નિવેદન જારી કર્યુ છે. જેમાં તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે કોરોના મહામારીના કારણે ક્યાંય પણ કાર્યક્રમ કરવા કે ભીડ એકઠી કરવાની સ્થિતિ પેદા ન કરે.
સરકાર નવા કૃષિ કાયદાને ખતમ કરી દેઃ ટિકેત
તમને જણાવી દઈએ કે ખેડૂતોનુ આંદોલન કૃષિ કાયદા સામે સતત ચાલુ છે. રાકેશ ટિકેતે ફરીથી કહ્યુ કે, 'જ્યાં સુધી સરકાર ત્રણે કાયદા પાછા ના લે ત્યાં સુધી ખેડૂતોનુ આંદોલન ચાલુ રહેશે. અમે સુધારા નથી ઈચ્છતા, અમે બસ ઈચ્છીએ છીએ કે સરકાર નવા કૃષિ કાયદાને ખતમ કરી દે. સરકારે કોઈ ચર્ચા-વિચારણા કે સલાહ વિના કાયદા બનાવ્યા છે. આ કાયદો ગરીબ ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લેશે, સરકારે આને કોઈ પણ પરિસ્થિતિમાં રદ કરવો જ પડશે.' ખાસ વાત એ છે કે ખેડૂતોના આજના પ્રદર્શનને કોંગ્રેસ સહિત 12 મોટી વિપક્ષી પાર્ટીઓએ સમર્થન આપ્યુ છે.
આ છે એ 12 પક્ષો જેમણે આપ્યુ છે સમર્થન
સોનિયા ગાંધી(કોંગ્રેસ)
એચડી દેવગૌડા(જદ-એસ)
શરદ પવાર(એનસીપી)
મમતા બેનર્જી(ટીએમસી)
ઉદ્ધવ ઠાકરે(શિવસેના)
એમકે સ્ટાલિન(ડીએમકે)
હેમંત સોરેન(ઝામુમો)
ફારુક અબ્દુલ્લા(જેકેપીએ)
અખિલેશ યાદવ(સમાજવાદી પાર્ટી)
તૈજસ્વી યાદવ(રાજદ)
ડી રાજા(સીપીઆઈ)
સીતારામ યેચુરી(સીપીઆઈ-એમ)