આ સવાલનાં જ બીજાં રૂપ છે. ભગતસિંહની ફાંસી માટે ગાંધીજી કેટલા જવાબદાર ગણાય? ભગતસિંહની ફાંસી રદ કરાવવામાં ગાંધીજીના પ્રયાસ ઓછા પડ્યા? ગાંધીજીએ ભગતસિંહની ફાંસીની સજા કેમ માફ ન કરાવી?
ગાંધીજીનું વ્યક્તિત્વ એવું છે કે તેમની સાથે વાંધો પાડી શકાય, લડી શકાય અને આ બધું કર્યા પછી પણ દોસ્તી કરી શકાય.
ભગતસિંહ અને ગાંધીજી
આદર્શ ક્રાંતિકારી તરીકે ઓળખાતા ભગતસિંહ હિંસક રસ્તે આઝાદીના સમર્થક હતા. 1907માં તેમનો જન્મ થયો, ત્યારે 38 વર્ષના લોકસેવક ગાંધી દક્ષિણ આફ્રિકામાં અહિંસક લડાઈના પ્રયોગો કરી રહ્યા હતા.
સત્યાગ્રહના અનુભવો સાથે તે 1915માં ભારત આવ્યા અને જોતજોતામાં ભારતના જાહેર જીવનની ટોચે પહોંચી ગયા.
યુવાની તરફ આગળ વધી રહેલા ભગતસિંહે હિંસક ક્રાંતિનો રસ્તો લીધો.
પરંતુ તે બંને વચ્ચે એક મહત્ત્વનું સામ્ય હતું : દેશના સામાન્ય ગરીબ માણસનું હિત તેમને સૌથી વધારે મહત્ત્વનું લાગતું હતું. તેમનો આઝાદીનો ખ્યાલ ફક્ત રાજકીય ન હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
શોષણની બેડીઓમાંથી પ્રજા મુક્ત થાય એવી તેમની ઝંખના અને તેમના પ્રયાસ હતાં.
બીજું વિરોધી લાગતું સામ્ય : ભગતસિંહ નિરીશ્વરવાદી (નાસ્તિક) હતા, જ્યારે ગાંધીજી પરમ આસ્તિક. પરંતુ ધર્મના નામે ફેલાવાતા ધીક્કારના બંને વિરોધી હતા.
ભગતસિંહને ફાંસીની સજા
વડીલ નેતા લાલા લજપતરાયને 1929માં સાયમન કમિશનના વિરોધ પ્રદર્શનમાં પોલીસની લાઠી વાગી.
એ જખમના થોડા દિવસ પછી તેમનું મૃત્યુ થયું.
લાલાજી છેલ્લાં વર્ષોમાં કોમવાદના રાજકારણ ભણી ઢળી રહ્યા હતા.
ભગતસિંહે એ મુદ્દે તેમનો ખુલ્લો વિરોધ કર્યો હતો. પણ અંગ્રેજ પોલીસના લાઠીમારથી લાલાજીનું મૃત્યુ થાય, તેમાં ભગતસિંહને દેશનું અપમાન લાગ્યું.
તેનો બદલો લેવા માટે તેમણે સાથીદારો સાથે મળીને પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ સ્કૉટને ફૂંકી મારવાની યોજના ઘડી.
પણ એક સાથીદારની ભૂલથી, સ્કૉટને બદલે 21 વર્ષનો પોલીસ અધિકારી સૉન્ડર્સ વીંધાઈ ગયો.
એ કિસ્સામાં તો ભગતસિંહ છટકી ગયા હતા, પણ થોડા વખત પછી તેમણે કેન્દ્રની ધારાસભામાં ચાલુ કાર્યવાહીએ બૉમ્બ ફેંક્યો.
એ વખતે વિઠ્ઠલભાઈ પટેલ (સરદારના મોટા ભાઈ)ગૃહના પહેલા ભારતીય અધ્યક્ષ તરીકે કાર્યવાહી ચલાવતા હતા. બૉમ્બનો આશય જાનહાનિનો નહીં, બહેરી અંગ્રેજ સરકારના કાને પણ દેશની વાસ્તવિકતા પહોંચાડવાનો હતો.
બૉમ્બ ફેંક્યા પછી ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ભાગી શક્યા હોત, પણ તેમણે ધરપકડ વહોરી. ભગતસિંહની પાસે તેમની રિવોલ્વર પણ હતી.
પછીથી એ જ રિવૉલ્વર પોલીસ અધિકારી સૉન્ડર્સની હત્યામાં વપરાઈ હોવાનું સ્થાપિત થયું.
એટલે ધારાસભામાં ધડાકા માટે પકડાયેલા ભગતસિંહ થોડા વખતમાં સૉન્ડર્સની હત્યાના વધુ ગંભીર કેસમાં આરોપી બન્યા અને ફાંસીની સજા પામ્યા.
દાંડીકૂચ (1930) પછી ગાંધીજી-કૉંગ્રેસ અને અંગ્રેજ સરકાર વચ્ચેનો સંઘર્ષ જોરમાં હતો.
દરમિયાન ભારતની રાજવ્યવસ્થામાં સુધારાવધારાની ચર્ચા માટે અંગ્રેજ સરકારે વિવિધ ભારતીય નેતાઓને ગોળમેજી પરિષદમાં લંડન બોલાવ્યા.
આવી પહેલી કૉન્ફરન્સમાં ગાંધીજીએ અને કૉંગ્રેસે ભાગ ન લીધો. એટલે તેમાંથી કશું નીપજ્યું નહીં.
બીજી કૉન્ફરન્સમાં અગાઉનું પુનરાવર્તન ટાળવા માટે અંગ્રેજ સરકારે સંઘર્ષને બદલે વાતચીત માટેની તૈયારી બતાવી.
17 ફેબ્રુઆરી, 1931થી વાઇસરૉય ઇર્વિન અને ગાંધીજી વચ્ચે વાતચીત શરૂ થઈ. 5 માર્ચ, 1931ના રોજ બંને વચ્ચે કરાર થયા.
આ કરારમાં અહિંસક ચળવળમાં પકડાયેલા બધા કેદીઓને છોડી મૂકવાની વાત હતી.
રાજકીય હત્યાના આરોપસર ફાંસીની સજા પામેલા ભગતસિંહને આ કરાર હેઠળ માફી ન મળી. બીજા ઘણા કેદીઓને પણ ન મળી. અહીંથી વિવાદની શરૂઆત થઈ.
ભગતસિંહ અને બીજાઓના માથે ફાંસીનો ગાળિયો ઝળૂંબી રહ્યો હોય ત્યારે સરકાર સાથે શાંતિથી સમજૂતી થાય જ કેવી રીતે?
આવી મતલબનાં ચોપાનિયાં ગાંધી-ઇર્વિન કરાર પછી વહેંચાઈ રહ્યાં હતાં.
સામ્યવાદીઓ આ કરારથી નારાજ હતા. ગાંધીજીની જાહેર સભાઓમાં તે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરતા હતા.
એવામાં 23 માર્ચ, 1931ના રોજ ભગતસિંઘ-સુખદેવ-રાજગુરુને ફાંસી આપવામાં આવી.
તેનાથી લોકોનો રોષ ભડક્યો...ફક્ત અંગ્રેજ સરકાર સામે નહીં, ગાંધીજી સામે પણ ખરો.
ગાંધીજી સામે એટલા માટે, કારણ કે તેમણે 'ભગતસિંહની ફાંસીની સજા માફ નહીં, તો કરાર પણ નહીં', એવો આગ્રહ ન રાખ્યો.
26 માર્ચના રોજ કૉંગ્રેસનું કરાચી અધિવેશન શરૂ થયું (જેના પ્રમુખપદે પહેલી અને છેલ્લી વાર સરદાર પટેલ હતા).
તેના માટે 25 માર્ચના રોજ કરાચી પહોંચેલા ગાંધીજી સામે વિરોધ પ્રદર્શન થયાં.
કાળાં કપડાંનાં ફુલ અને 'ગાંધીવાદ મુર્દાબાદ', 'ગાંધી ગો બૅક' જેવા નારાથી તેમનું 'સ્વાગત' કરવામાં આવ્યું. (આ વિરોધને ગાંધીજીએ 'તેમની ઊંડી વ્યથા અને તેમાંથી નીપજતા રોષનું એક હળવું પ્રદર્શન' ગણાવ્યો અને તેમણે 'રોષ બહુ ગૌરવભરી રીતે ઠાલવ્યો' એમ પણ કહ્યું.)
ટાઇમ્સ ઑફ ઇંડિયાના અહેવાલ પ્રમાણે, 25 માર્ચની બપોરે કેટલાક લોકો ગાંધીજીના ઉતારામાં ઘૂસી ગયા.
'ક્યાં છે ખૂની' એવી બૂમો સાથે તે ગાંધીજીને શોધતા હતા. ત્યારે પંડિત નહેરુ તેમને મળી ગયા.
તે આ યુવાનોને એક ખાલી તંબુમાં લઈ ગયા અને તેમની સાથે ત્રણ કલાક વાતો કરી. છતાં સાંજે ફરી વિરોધ કરવા તેઓ પાછા આવ્યા.
કૉંગ્રેસની અંદર સુભાષચંદ્ર બોઝ સહિતના કેટલાક પણ ગાંધી-ઇર્વિન કરારના વિરોધમાં હતા.
તેઓ માનતા હતા કે અંગ્રેજ સરકાર ભગતસિંહને ફાંસીની સજા માફ ન કરે, તો તેની સાથે કરાર કરવાની જરૂર ન હતી.
જોકે, કૉંગ્રેસની વર્કિંગ કમિટીનો ગાંધીજીને સંપૂર્ણ ટેકો હતો.
ગાંધીજીએ આ મુદ્દે જુદાંજુદાં ઠેકાણે આપેલા પ્રતિભાવનો મુખ્ય સૂર, તેમના જ શબ્દોમાં. (ગાંધીજીનો અક્ષરદેહ-45)
(ઉર્વીશ કોઠારી ગુજરાતના જાણીતા પત્રકાર અને લેખક છે. બીબીસી ગુજરાતી સેવા પર બીજી ઑક્ટોબરથી શરૂ થયેલી 'બાપુ, બોલે તો...' શૃંખલામાં આ તેમનો પ્રથમ લેખ છે. આ શૃંખલા અંતર્ગત દર અઠવાડિયે ગાંધીજી પર એક લેખ પ્રસિદ્ધ કરવામાં આવશે. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો