Click here to see the BBC interactive
ધ સ્ક્રોલના એક અહેવાલ મુજબ ભારતના કેન્દ્રીય મંત્રી વી. કે. સિંઘે ધ હિંદુ અખબારને કહ્યું છે કે ભારતે ચીન કરતાં વધુ વખત વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC ઓળંગી છે.
વી. કે. સિંઘ, જેઓ ભૂતપૂર્વ સેનાધ્યક્ષ હતા, તેમણે કહ્યું છે કે, “જો ચીને 10 વખત સીમા ઓળંગી હશે તો આપણે ઓછામાં ઓછું 50 વખત આવું કર્યું હશે.”
સિંઘે આગળ વાત કરતાં કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેના સીમાંકન બાબતે બંને દેશોની જુદી જુદી ધારણાઓ છે.
તેમણે કહ્યું કે, “ચીને પાછલાં વર્ષોમાં ઘણી વખત પોતાની ધારણા મુજબ LAC પાર કરી છે. તેવી જ રીતે અમે પણ અમારી ધારણા મુજબ ઘણીવાર સીમા ઓળંગી છે, તમને એ વાતની ખબર પડતી નથી કારણ કે ચીનનાં માધ્યમો તેનું કવરેજ કરતાં નથી.”
તેમણે કહ્યું કે જ્યારે ચીને વર્ષ 2020માં પૂર્વ લદ્દાખમાં સીમા ઓળંગી, ત્યારે ભારતની પણ પ્રતિક્રિયા આવી. ત્યારે સ્થિતિ નિયંત્રણમાં હતી.
“આજે ચીન પ્રેશરમાં છે, કારણ કે અમે સીમા પર એવાં સ્થાનોએ બેઠા છીએ, જ્યાં તેને ગમતું નથી.”
બીજી તરફ વી. કે. સિંહના આ નિવેદન પર ચીને પણ પ્રતિક્રિયા આપી છે.
ચીનના વિદેશમંત્રીના પ્રવક્તા વાંગ વેન્બિને ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક સમાચારનો હવાલો આપતાં કહ્યું છે કે ભારત સતત ભારત-ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને સતત ઘર્ષણની સ્થિતિ પેદા કરી રહ્યું છે. અખબાર અનુસાર સીમા પર તણાવનું આ મુખ્ય કારણ છે.
https://twitter.com/globaltimesnews/status/1358754466321756160
વિદેશમંત્રીના પ્રવક્તાએ કહ્યું કે, “અમે ભારતને આગ્રહ કરવા માગીએ છીએ કે બંને દેશો એકમેકની સંમતિથી જે સમજૂતી પર પહોંચ્યા છે તેને પ્રામાણિકતાથી લાગુ કરે અને સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતાની રક્ષા માટે પગલાં ભરે.”
વર્ષ 2020માં ગુજરાતમાં સ્ટાર્ટઅપ વર્કફોર્સમાં નવ ટકાનો ઘટાડો
લૉકડાઉન બાદ વર્કફૉર્સમાં ઘટાડો એક સામાન્ય ઘટના બની ગઈ હતી. આવું જ કંઈક ગુજરાતના સ્ટાર્ટઅપ સાથે પણ બન્યું છે. વર્ષ 2019ની સરખામણીએ ગુજરાતમાં સ્ટાર્ટઅપમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યામાં નવ ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ કેન્દ્રીય કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીના ડેટા પ્રમાણે વર્ષ 2019માં સ્ટાર્ટઅપમાં કામ કરતા લોકોની સંખ્યા 10,539 હતી જે વર્ષ 2020માં ઘટીને 9,577 થઈ ગઈ છે.
અમદાવાદસ્થિત ફિકોલિંક ટેક્નૉલૉજીસના ફાઉન્ડર સુમિત મોહંતીએ આ વલણ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “અમે લૉકડાઉન પછી નવા લોકોને રોજગારી આપવાનું બંધ કરી દીધું હતું કારણ કે અમારા સેક્ટરમાં મંદી જોઈ શકાતી હતી. આટલો સમય પસાર થઈ ગયા છતાં પણ વૃદ્ધિની ઝડપ વધી શકી નથી. અમે આવનારા નાણાકીય વર્ષમાં પોતાનો વર્કફોર્સ વધારવાની આશા રાખીએ છીએ.”
ગુજરાતસ્થિત વધુ એક લીગલ-ટેક સ્ટાર્ટઅપ લીગલવીઝે પણ મહામારીના વર્ષ દરમિયાન નવા લોકોને તક આપવાનું બંધ કરી દીધું હતું.
લીગલવીઝના ફાઉન્ડર શ્રીજય શેઠે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “લૉકડાઉન બાદથી અમે રોજગારી સર્જવાનું બંધ કરી દીધું હતું. પરંતુ ડિજિટલ અડોપ્શનના કારણે અમારો બિઝનેશ વધવાની શરૂઆત થવાની સાથે જ અમે રિક્રૂટમેન્ટ શરૂ કરી દીધી છે.”
ચેન્નઈ ટેસ્ટનો ચોથો દિવસ : ભારત સામે જીત માટે 420 રનનું લક્ષ્ય
ચેન્નઈમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ચાલી રહેલ ટેસ્ટ મૅચમાં ચોથા દિવસની રમત બાદ ભારતને 381 રનની જરૂરિયાત છે, ભારતની ટીમ પાસે નવ વિકેટ અને એક દિવસની રમત બાકી છે.
ચોથા દિવસની રમત પૂરી થતાં સુધી ભારતીય ટીમે એક વિકેટના નુકસાને 39 રન બનાવી લીધા છે. ભારતે 25 રનના સ્કોરે રોહિત શર્માની વિકેટ ગુમાવી હતી, તેમણે 12 રન બનાવ્યા હતા.
રમત પૂરી થાય ત્યાં સુધી ચેતેશ્વર પુજાર નવ રન અને શુભમન ગિલ 14 રન બનાવીને ક્રીઝ પર અડગ હતા.
આ પહેલા ઇંગ્લૅન્ડની બીજી ઇનિંગ માત્ર 178 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે જીત માટે 420 રન બનાવવાના છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધી ચોથી ઇનિંગમાં મહત્તમ 418 રનનું લક્ષ્ય હાંસલ કરી શકાયું છે. વેસ્ટ ઇંડિઝે સેઇન્ટ જોન્સમાં વર્ષ 2003માં રમાયેલી ટેસ્ટ મૅચમાં આ કારનામું કરી બતાવ્યું હતું.
બીજી ઇનિંગમાં પણ ઇંગ્લૅન્ડ તરફથી સૌથી વધુ રન કૅપ્ટન જો રૂટે જ બનાવ્યા. તેમણે 40 રનની ઇનિંગ રમી હતી.
ભારત તરફથી સ્પિન બૉલર આર. અશ્વિને જોરદાર પ્રદર્શન કરતાં છ વિકેટ લીધા. તેમણે પોતાની કારકિર્દીમાં આ 21મી વખત પાંચ કે તેથી વધુ વિકેટ હાંસલ કરી છે.
https://www.youtube.com/watch?v=jxcry2-teR0
અમેરિકામાં અધિકારીઓનું કહેવું છે કે એક કૉમ્પ્યૂટર હૅકરે ફ્લોરિડા રાજ્યના એક શહેરના પાણી પુરવઠા માટેના યંત્રને હૅક કરીને પાણીમાં ઝેરી રસાયણ ભેળવવાની કોશિશ કરી છે.
તેમણે જણાવ્યું કે એક હૅકરે ઓલ્ડસ્માર શહેરની વૉટર ટ્રીટમેન્ટ સિસ્ટમને હૅક કરીને પાણીમાં સોડિયમ હાઈડ્રોક્સાઇડનું પ્રમાણ વધારવાની કોશિશ કરી છે.
પરંતુ એક કર્મચારીની તેના પર નજર પડી ગઈ અને તેણે આ પ્રક્રિયા અટકાવી દીધી.
પાણીમાં એસિડિટી રોકવા માટે સોડિયમ હાઈડ્રોક્સાઇડનો ઉપયોગ ઓછી માત્રામાં કરવામાં આવે છે, તેની માત્રા વધારવાના ખરાબ પરિણામ આવી શકે છે.
ઓલ્ડસ્માર શહેરના મેયરનું કહેવું છે કે કોઈ ખરાબ ઇરાદાવાળી વ્યક્તિએ આ કર્યું છે.
અત્યાર સુધી આ મામલે કોઈ ધરપકડ નથી થઈ અને એ પણ ખબર નથી પડી શકી કે હૅકિંગનો આ પ્રયત્ન અમેરિકામાંથી જ થયો હતો કે કોઈ બહારના દેશમાંથી.
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો